અમદાવાદ. ગુજરાતમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ તરીકે જયંત પટેલ ઉર્ફે બોસ્કીને ફરીથી બેસાડાતા હવે શંકરસિંહ વાઘેલા આ નિર્ણયથી નારાજ છે. તેઓ કોરોનાના કાળમાં ગુજરાત સરકાર વિરુદ્ધ અભિયાન છેડી સોશિયલ મીડિયા થકી લોકોમાં પોપ્યુલારિટીનો ગ્રાફ વધારી રહ્યા હતા, પરંતુ વાઘેલાના આ અભિયાનને પછડાટ આપવા પાછળ ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના જ દિગ્ગજ નેતાઓએ તખ્તો તૈયાર કર્યો હોવાની ખુદ વાઘેલાના જ ખાસ સમર્થકોમાં ચર્ચા છે.
અમિત શાહે એનસીપીના મહામંત્રી પ્રફુલ પટેલ પર દબાણ વધાર્યું
વાઘેલા ગુજરાતમાં વધુ સક્રીય ન બને અને તેમની નારાજગી વધે તે માટે ગૃહમંત્રી અમિત શાહે એનસીપીના મહામંત્રી પ્રફુલ પટેલ પર દબાણ વધાર્યું હોવાનું વાઘેલાના કેટલાંક સમર્થકો માને છે. તે ઉપરાંત કોંગ્રેસના અહેમદ પટેલ પણ વાઘેલા સાથેની કોંગ્રેસ કાળની જૂની દુશ્મની ઉતારવા પ્રફુલ પટેલને આમ કરવા દબાણ કર્યું હતું તેમ પણ વાઘેલાના સમર્થકો માને છે.
આ અંગે વાઘેલાએ કોઇ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તેઓ જલ્દી જાહેર ખુલાસો કરશે. જાણવા મળ્યું છે કે વાઘેલા ચાહે છે કે ગુજરાતના એકમાત્ર એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજાનો મત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને મળે. ભાજપ નરહરિ અમીનને જીતાડવા કાંધલ જાડેજાનો મત તેમને મળે તે માટે પ્રયત્નશીલ છે.