કોરોના વાયરસની મહામારી વચ્ચે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં અનેક લોકોને મદદ કરવામાં આવી હતી. હવે આ મામલે મોદી સરકારે સક્રિયતા દાખવી છે. ભારતીય જનતા પાર્ટીએ લોકડાઉન દરમિયાન જરૂરિયાવાળા લોકો અને પ્રવાસી મજૂરોની સહાયતા કાર્યોનો હિસાબ પ્રદેશ શાખાઓ પાસે માંગ્યો છે.
આમ કરવા પાછળનો હેતો સ્ટેટ યુનિટના કાર્યોનું મૂલ્યાંકન કરવાનો છે. ભાજપના ટોચના નેતૃત્વએ સાત દિવસની અંદર તમામ પ્રદેશ શાખાઓને હિસાબ આપી દેવા જણાવ્યું છે. આ બધા વચ્ચે પાર્ટીએ રિપોર્ટ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
ભાજપના કેન્દ્રીય મુખ્યાલયમાં આ રિપોર્ટ સાત દિવસની અંદર પહોંચાડવાનું જણાવાયું છે. આ રિપોર્ટમાં અનેક સવાલોના જવાબ આપવા પડશે. જેમ કે કેટલા જરૂરિયાતવાળાઓને ભોજન કરાવ્યું? કેટલા લોકોને રાશન વહેંચવામાં આવ્યું? આ ઉપરાંત પ્રત્યેક પ્રદેશ શાખાએ કેટલા માસ્ક કે ફેસ કવર વહેંચ્યા? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ જે પી નડ્ડાએ પાર્ટી કાર્યકર્તાઓને પીએમ કેરમાં દાન કરવાની અપીલ કરી હતી.
દેશના પ્રત્યેક રાજ્ય શાખાઓએ એ પણ જણાવવાનું રહેશે કે પીએમ કેર ફંડમાં કાર્યકરોએ કેટલું દાન કર્યું. આ ઉપરાંત પાર્ટી કાર્યકરોએ કેટલા લોકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવી તેનો પણ પાર્ટી મુખ્યાલયે હિસાબ માંગ્યો છે.
લોકડાઉન વચ્ચે જ મહાનગરોમા સેંકડો કિલોમીટર દૂર ગામ જવા માટે પગપાળા નીકળી પડેલા મજૂરો પર ખુબ રાજકારણ રમાયું હતું. વિપક્ષે તેને મુદ્દો બનાવ્યો છે. ત્યારબાદ પાર્ટીએ પ્રવાસી મજૂરોને સહાયતાના નિર્દેશો પણ આપ્યા હતાં. કેટલા સ્થળો પર રાહત કાર્યોનું સંચાલન થયું, પાર્ટીએ તેનો પણ હિસાબ માંગ્યો છે.