રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિના સંદર્ભમાં રાજ્યની શાળાઓ શરૂ કરવા બાબતે વિચાર વિમર્શ કરવા માટે શિક્ષકો સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મિટિંગ યોજી હતી, જેમાં શિક્ષણવિદ્દોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિ ને ધ્યાનમાં રાખી ને બાળકો અને શાળાઓની ચિંતા રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે. આ બાબત આવકાર્ય છે. જ્યારે રાજ્યમાં કોરોનાની મહામારી અનુભવાઈ રહી છે, ત્યારે રાજ્યની શાળાઓ ખોલવાની હમણાં કોઈ ઉતાવળ ન કરવી જોઈએ.જરૂર પડે તો અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની વિચારણા કરી શકાય.
આ કાર્યક્રમ અંતર્ગત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે,‘16મી માર્ચથી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ કર્યા બાદ રાજ્ય સરકારે શાળાના બાળકોની શિક્ષણની ચિંતા કરીને હોમ લર્નિંગ શિક્ષણના કાર્યક્રમો ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલના માધ્યમથી ઘરે ઘરે શિક્ષણકાર્ય પહોંચાડવા માં આવી રહ્યું છે.આ પ્રયાસોનાં સુંદર પરિણામ મળતા થયા છે.’
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે,‘ આ વેબિનારમાં જે કાંઈ સૂચનો મળ્યા તેના પર શિક્ષણ વિભાગ દ્વારા સત્વરે વિચારણા કરવામાં આવશે અને ત્યાર બાદ યોગ્ય નિર્ણય કરાશે.