રાજકોટના કોરોના સામે સાવચેતીના પગલારૂપે 56 દિવસ ઘરમા બંધ રહેલા લોકો છૂટછાટ બાદ મોટી સંખ્યામાં માર્ગો ઉપર નીકળી પડયા હતા. રાજકોટમાં લોકોમાં આઝાદી મળ્યાનો એહસાસ અનુભવતા હતા. સાથોસાથ સૌથી વધુ રાહત હજ્જારો દુકાનદારોને થઈ જેમના વેપાર-ધંધા શરૂ થયા છે. આર્થિક અને માનસિક રીતે તૂટી રહેલા નાના ધંધાર્થીઓના ચહેરા ઉપર ચમક જોવા મળતી હતી. બબ્બે મહિનાથી પોતાના જ ધંધાના સ્થળથી દૂર રહેલા શહેરની લાઈફ લાઈન જેવા આ ધંધાર્થીઓએ આજથી નવેસરથી શુભારંભ શરૂ કર્યો હતો.
રાજકોટની પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ માર્કેટ, સોની બજાર ગઇ કાલે 7 વાગ્યાથી જ સાફ સફાઈ, પૂજન-અર્ચન સાથે જીવંત વાતાવરણ જોવા મળતુ હતુ. શહેરમાં આજે પ્રથમ દિવસે ચશ્મા, મોબાઈલ, ઈલેકટ્રીક ઉપકરણો, સ્ટેશનરી વગેરેની દુકાનોમાં નાના-મોટા રિપેરીંગથી લઈ જરૂરી ખરીદી માટે ગ્રાહકો કતારમા ઉભેલા જોવા મળતા હતા. 56 દિવસથી ભીડ ને તરસતા માર્ગોને આજે ચેતના મળી હતી. સૌથી વધુ કતારો પાન, માવાની અને ગાંઠિયા-ફરસાણની દુકાનોમાં જોવા મળી હતી. પોતાના શહેરમા રોકનારૂ કોઈ ન હોઈ લોકો શહેરનો અસ્સલ મિજાજ મહેસૂસ કરવા નીકળી પડયા હતા. બે માસથી બહાર નીકળનારા સામે કડક રહેતી પોલીસે પણ આજે નરમાશ દર્શાવતા લોકોને રાહત રહી હતી.
ત્યાં જ સરકાર દ્વારા રાહત મળતા રાજકોટવાસીઓએ માત્ર 8 કલાકમાં જ 3 કરોડના પાન, ફાકી અને તમાકુ ખરીદી લીધા હતા. જો કે મોબાઈલ માર્કેટમાં પણ સારી એવી ઘરાકી જોવા મળી હતી. એક જ દિવસમાં 2 કરોડના મોબાઈલ ફોન વેચાઇ ગયા હતા.
મંગળવારે વિવિધ વિસ્તારોમાં આવેલી પાનની દુકાન અને હોલસેલની દુકાને સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેમાં મહિલાઓ પણ લાઈનમાં ઊભી રહી ગઇ હતી. મોબાઇલની ખરીધી તઇ ત્યાં જ 1 હજારથી વધુ લોકો પોતાના મોબાઈલ રિપેરિંગ માટે આપી ગયા હતા. આ વેપાર સામાન્ય દિવસો કરતા અડધો છે. આ ઉપરાંત ઓટો મોબાઈલ પાર્ટસ, કૃષિ પ્રોડક્ટ અને તેના પાર્ટસ ખરીદવા માટે લોકો ઊમટી પડ્યા હતા.
રાજકોટમાં લોકડાઉન ૪માં છૂટછાટો સાથે મુશ્કેલીઓ પણ સર્જાઈ રહી છે કારણ કે દિશાહીન મહાપાલિકા રોજ નિયમો બદલે છે. ઓડ ઈવન વ્યવસ્થામાં પ્રોપર્ટી નંબર આધારીત વ્યવસ્થા જાહેર કરી રાતોરાત નિર્ણય બદલ્યો તો હવે ચા ની કિટલીઓ, થડાને મનાઈ ફરમાવ્યા ના બીજા જ દિવસે ચા ની હોટલોને શરતી મંજૂરી આપવામાં આવી છે.