NATIONAL

લૉકડાઉન 5.0ની ગાઇડલાઇન જાહેર, જાણો ક્યાં મળશે છૂટ અને ક્યાં રહેશે પ્રતિબંધો

\ગૃહમંત્રાલયે લૉકડાઉન 5.0ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. આ અંતર્ગત કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે છૂટ આપવામાં આવશે, પરંતુ અત્યારે દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર સંપૂર્ણ રીતે છૂટ રહેશે. આ ગાઇડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે. દેશમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચાલું રહેશે. સ્કૂલ-કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે. જુલાઈમાં રાજ્ય આના પર નિર્ણય લેશે. હોટલ, ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ 8 જૂનથી ખોલી દેવામાં આવશે. જો કે સરકારે શરતો સાથે ખોલવાની પરવાનગી આપી છે.

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને જિલ્લામાં જઇ શકાશે

લૉકડાઉન 5માં મંદિર-મસ્જિદ-ગુરૂદ્વારા-ચર્ચ ખોલવામાં આવશે. અનેક રાજ્યો ઇચ્છી રહ્યા હતા કે મૉલ પણ ખોલવામાં આવે તો તે પણ તબક્કાવાર રીતે ખોલવામાં આવશે. સ્કૂલ-કૉલેજ બીજા ફેઝમાં જુલાઈમાં ખુલી શકે છે. 8 જૂનથી રેસ્ટોરન્ટ અને હોટલ પણ ખુલશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જરૂરી રહેશે. તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા-આવવાનો પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો છે. રાજ્યમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઇ શકાશે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. ક્યાંય આવવા-જવા માટે પહેલા કોઈની પરવાનગી લેવાની જરૂર નથી.

પ્રકાશ જાવડેકરે પહેલાથી જ આપી દીધા હતા મોટી છૂટછાટનાં સંકેત

આ પહેલા કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે લૉકડાઉન 5.0ની રૂપરેખાને લઇને સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતુ કે લૉકડાઉન 5.0 તો હશે, પરંતુ પ્રતિબંધો ઘણી હદ સુધી ઓછા હશે. કેન્દ્રિય મંત્રીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, લૉકડાઉન 5.0 બિલકુલ સાધારણ હશે. તેમણે કહ્યું કે, “આમાં કેટલાક જ વિસ્તારોમાં પ્રતિબંધો લગાવવામાં આવશે. બાકીનાં જન-જીવનને ખોલવામાં આવશે” તેમણે કહ્યું કે, “વર્તમાન પરિસ્થિતિ હંમેશા નહીં રહે. લોકોને ઘણી હદ સુધી છૂટ આપવામાં આવી છે અને આશા છે કે સામાન્ય જીવન હશે.”

લોકડાઉનનાં કારણે ભારતમાં કોરોનાનાં ઓછા કેસ

કેન્દ્રિય મંત્રીએ લૉકડાઉનને ઘણું જ જરૂરી પગલું ગણાવતા કહ્યું કે, “જો દેશમાં યોગ્ય સમયે આ નિર્ણય ના લેવામાં આવ્યો હોત તો આજે ભારતમાં 50 લાખ કોરોનાનાં કેસ હોત. લૉકડાઉનનાં કારણે આજે પણ આપણી જેટલી સંખ્યા છે તેના પ્રમાણે ઘણા ઓછા કેસ સામે આવી રહ્યા છે.” તેમણે કોરોનાથી મોતનાં મામલે કહ્યું કે, “આખા વિશ્વમાં સૌથી ઓછા મોત ભારતમાં થયા છે. આપણે આશા કરીએ છીએ કે જલદી કોઈ વેક્સિન અથવા દવા આવે અને તમામ લોકો પહેલાની માફક સામાન્ય જીવન જીવે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *