GUJARAT RAJKOT

કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાને ઢોર માર મરાયો, કોંગ્રેસે પોલીસ પર લગાવ્યા આરોપો

રાજકોટમાં કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની ધરપકડ બાદ કોંગ્રેસના દેખાવા બાદ રાજકારણ ગરમાતું જાય છે. આજે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખને પાલ આંબલિયાને માર માર્યાનો આરોપ પોલીસ પર થઈ રહ્યા છે. ગઈકાલે (બુધવારે) પાલ આંબલિયાની ધરપકડ બાદ તેમને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમને પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે. આજે પાલ આંબલિયાની હાલતને જોતા પોલીસે તેમને ઢોર માર મારવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક દ્દષ્ટિએ જણાઈ આવતું હતું. પાલ આંબલિયાની આજરોજ હાલત ખરાબ થતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની ધરપકડ બાદ તેમને પોલીસ દ્વારા ઢોર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ ગાંધીનગરના ઈશારે પોલીસ કામ કરી રહી છે. કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખને પોલીસે કસ્ટડી દરમિયાન ઢોર માર મરાયો છે. પાલ આંબલિયાએ પણ ઢોર માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવ્યું કે, બુધવારે પાલ આંબલિયાની ધરપકડ કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ડુંગળી-કપાસ-એરંડાના ભાવો સાવ તળીયે બેસી જતા, ખેડૂતોને લાખો-કરોડોની ખોટ જતા અને કેન્દ્ર અને ગુજરાત સરકારે પોષણક્ષમ ભાવો નહિ જાળવતા કે ખરીદી નહિ કરતા તેના વિરોધમાં બુધવારે ગુજરાત કોંગ્રેસના આગેવાનો પાલ આંબલીયા અને અન્ય બે ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. આ ત્રણેય જણાંએ કલેકટર કચેરીએ ડુંગળી-એરંડા અને કપાસ ભરેલા કોથળા સાથે દોડી આવ્યા હતા, અને કોરોનાની ભયાનક બીમારી હોય, આ ત્રણેય જણાંએ પીએમ કેર ફંડમાં આપવા આવ્યાનું અને કલેકટરને આ ત્રણેય વસ્તુ આપવા આવ્યાનું નિવેદન આપતા જ મોટું ટોળું એકઠું થઇ ગયું હતું.

પોલીસ બંદોબસ્તમાં રહેલ પોલીસ પણ તેમની પાસે દોડી ગઈ હતી, પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, આ ત્રણેય વસ્તુના ભાવો સાવ તળીયે બેસી ગયા છે, કપાસ-એરંડાના ભાવો 50 ટકાથી નીચે ઉતરી ગયા છે, હું વડાપ્રધાન રાહત ફંડમાં આ વસ્તુ આપવા આવ્યો છું, ડુંગળીના ભાવો એટલા ઘટી ગયા છે કે, ખેડૂત પાયમાલ થઇ ગયો છે, લાખો-કરોડોની ખોટ ગઇ છે, છતાં સરકારની આંખ ઉઘડતી નથી, અને પોષણક્ષમ ભાવો અંગે કોઇ જાહેરાત કરતી નથી, પોલીસ મારી અટકાયત ન કરે, આમાં કોઇ ગુન્હો બનતો નથી
પાલ આંબલીયા અને અન્ય બે ખેડૂતો ચેનલો અને મીડીયાના પ્રતિનિધીઓ સાથે કલેકટર કચેરીના પટાંગણમાં વાત કરી રહ્યા હતા, ત્યાં રાજકોટની પ્રધ્યુમનનગર પોલીસની જીપ દોડી આવી હતી અને ત્રણેય ખેડૂત પાસેથી વસ્તુઓ ભરેલા કોથળા જપ્ત કરી પાલ આંબલીયા અને અન્ય બે ખેડૂતોની અટકાયત કરી લીધી હતી. અટકાયત સમયે પણ પાલ આંબલીયાએ વિરોધ વ્યકત કર્યો પરંતુ પોલીસે તેને જીપમાં બેસાડી દીધા હતા, પોલીસ માત્ર 10 મિનિટમાં આવી જતા વિરોધ કરવા આવનાર આગેવાનો કલેકટરની ચેમ્બર સુધી જઇ શકયા ન હતા, પણ 15 મિનિટ સુધી કલેકટર કચેરીમાં ભારે હંગામો-ટોળા એકઠા થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *